સર્વોપરિ શ્રીહરિએ આત્મનિષ્ઠાએ સહિત ભગવદ્દભક્તિ કરવાની આ શ્લોકમાં આજ્ઞા કરી છે. તેમાં મહારાજ આપણને આટલી બાબતો કહે છે.
૧. પોતાના આત્માને ત્રણેય દેહથી વિલક્ષણ - અલગ પ્રકારનો માનવો.
૨. એવા તે આત્માને બ્રહ્મરૂપે માનવો.
૩. પછી તે બ્રહ્મભાવે રહ્યા થકા સતત ભગવાનની ભક્તિ કરવી. અથવા સતત બ્રહ્મરૂપે રહ્યા થકા ભગવાનની ભક્તિ કરવી.
આત્મા એટલેશું ?
આખા શરીરમાં ચેતના દ્વારા વ્યાપીને શરીરનું સંચાલન કરનાર જીવ. જેને લઈને શરીરનું હલનચલન વગેરે બધી જ ક્રિયા થઈ શકે છે. જેને કારણે શરીર સજીવન રહી શકે છે. એવો શરીરનો ડ્રાઇવર, પ્રાણ અને પ્રકાશક તેને આત્મા કહેવાય. આપણે પોતે એ આત્મા છીએ.
આ શ્લોકમાં પ્રભુની પહેલી આજ્ઞા છે કે, પોતાને ત્રણ દેહથી વિલક્ષણ માનવો.
પોતાને ત્રણ દેહથી વિલક્ષણ માનવો એટલેશું ?
ત્રણેય દેહના જે ભાવ છે - ગુણધર્મો છે તેને પોતાના આત્મસ્વરૂપમાં કદી ન માનવા. પોતે પોતાના શુદ્ધ ચૈતન્યભાવમાં જ રહેવું.
ત્રણ દેહ એટલે?
૧. સ્થૂળ શરીર
૨. સૂક્ષ્મ શરીર
૩. કારણ શરીર
સ્થૂળ દેહના ભાવ કોને કહેવાય ?
સ્થૂળદેહને કારણે જે જે ભાવનાની કલ્પના થાય, સ્થૂળ શરીરને લઈને જે જે ગુણ-ધર્મો પોતામાં મનાય, તે બધા ભાવો-ગુણધર્મોને દેહના ભાવ કહેવાય. જેમ કે, બાળ-યુવા કે વૃદ્ધપણું, સ્ત્રી કે પુરુષપણું. જાડા-પાતળાપણું, અમુક વર્ણ કે નાત-જાતનું હોવાપણું, ગૃહસ્થાશ્રમ કે ત્યાગાશ્રમ જેવા આશ્રમમાં હોવાપણું, ભૂખ-તરસ, ટાઢ-તડકો, જન્મવું કે મરવાપણું. આ બધા સ્થૂળદેહના ભાવો છે. આવા એક પણ દૈહિકભાવો પોતામાં ન માનવા, પણ પોતાને તેનાથી તદ્દન વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ માનવું-ધારવું; તેને સ્થૂળ દેહથી વિલક્ષણ વર્ત્યા કહેવાય.
આપણે ચેતન-જ્ઞાતા છીએ; એટલે આપણને દેહના ગુણ-ધર્મો જણાય-અનુભવાય ખરા, પણ તેને પોતાના કે પોતામાં ન માની લેવા જોઈએ. આપણે દેહમાં રહીએ છીએ એટલે દેહની ભૂખ-તરસ, ઠંડી-ગરમીનો આપણને ખ્યાલ આવે પણ ‘હું ભૂખ્યો-તરસ્યો થયો છું’ તેવું ન માની લેવું જોઈએ. જેમ વાહનમાં ડીઝલ-પેટ્રોલની જરૂર જણાય ત્યારે આપણે તેની ટાંકીમાં તે પુરાવી દઈએ છીએ પણ મેં ડીઝલ-પેટ્રોલ ખાધું-પીધું એમ માનતા નથી. તેમ આ દેહના તમામ ગુણ-ધર્મોને આપણે જાણતા હોવા છતાં
તેનાથી અલગ-અલિપ્ત જ રહેવું જોઈએ.
આપણે આત્મા સ્ત્રી કે પુરુષ નથી, તે તો દેહનો ભાવ છે. આત્મા જન્મતો કે મરતો નથી, તે તો દેહનો ધર્મ છે. દેહના જાડા-પાતળા થવાથી આત્મા જાડો-પાતળો થઈ જતો નથી.
આત્માને નાત-જાત હોતાં નથી. આત્મા ત્યાગી કે ગૃહસ્થ હોતો નથી. આત્માને દેહાભિમાનને કારણે અમુક પ્રકારની ઇચ્છા-વાસના વળગી છે એટલે તે સંસારી જીવન જીવવાનું પસંદ કરે છે. ખરેખર તો તેને તે કોઈ બાબતની જરૂર જ નથી. જો તે આત્મા પોતાના ઓરિજનલ સ્વરૂપે રહી ભગવાનમાં જોડાયેલો રહે તો તે પોતે પોતાના તથા પરમાત્માના સુખે સુખી છે. માટે મહારાજ કહે છે કે, પોતાને દેહથી વિલક્ષણ માનવો.
સૂક્ષ્મદેહના ભાવ એટલેશું ?
જેટલા કાંઈ માન્યતાના ભાવ છે તે સર્વે સૂક્ષ્મ શરીરના ભાવો ગણાય. જેમ કે, સુખ-દુ:ખ, માન-અપમાન, મારું -તારું.
શરીરને માફક આવે એવું ખાવા-પીવાનું મળે, ઓઢવા-પહેરવાનું મળે, નાવા-સૂવાનું મળે ત્યારે એમ માનીએ કે, ‘હું સુખી છું’ અને એવું ન મળે ત્યારે એમ માનીએ કે, ‘હવે હું દુ:ખી છું’. એને સૂક્ષ્મ શરીરના ભાવમાં આપણો આત્મા અવરાઈ ગયો કહેવાય.
આ શરીરનું નામ પ્રસિદ્ધ થાય, અમુક લોકો બોલાવે, વખાણે, માને-સન્માને ત્યારે એમ માની લેવું કે, મારું માન-સન્માન થયું અને તેનાથી વિપરીત થાય ત્યારે એમ માનવું કે મારું અપમાન થયું; તેને પણ સૂક્ષ્મશરીરના ભાવોમાં આત્મા અવરાયો કહેવાય. પોતાના દેહનાં સગાં-સંબંધી કે શરીરનાં ઉપયોગી વસ્તુ-પદાર્થને મારાં માનવાં અને હું તેનો પતિ કે પિતા વગેરે છું; એમ પોતાને તેનો સગો કે માલિક માનીએ તેને અહં -મમત્વના ભાવમાં અવરાયા કહેવાઈએ. આવા તમામ માન્યતાના ભાવોથી આપણે અલિપ્ત રહીએ તો આપણે સૂક્ષ્મ શરીરથી વિલક્ષણ વર્ત્યા કહેવાઈએ.
કારણ શરીરના ભાવ એટલેશું ?
દેહ કે દુન્યવી બાબતની સાનુકૂળતામાં સુખબુદ્ધિ તથા આસક્તિ થાય તે કારણનો ભાવ છે. લૌકિક વાસના કે જગતમાં આકર્ષણ ઊપજે એ બધું દેહભાવને કારણે. જન્મોજન્મના સંસ્કાર કારણશરીરમાં ભેગા થયા છે તેને લઈને થાય છે. આપણે આત્માએ તેનાથી જુદા વર્તીને પરમાત્માના સુખપરાયણ રહેવું જોઈએ. ભગવાન તથા શાસ્ત્રની આજ્ઞા પરાયણ રહીને તે વાસનાનો કંટ્રોલ તથા નાશ કરવો જોઈએ; તો કારણ દેહના ભાવથી વિલક્ષણ થયા કહેવાય.
આવી રીતે ત્રણેય દેહના ભાવોથી અલિપ્ત રહેવું. પછી આપણે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવો. બ્રહ્મરૂપે જ ધારવો. ‘હું પોતે જ હું સત્તામાત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ કે અતિ વિશાળ બ્રહ્મ-ચિદાકાશ છું’ એવી વિભાવના કરવી.
બ્રહ્મ એટલેશું ?
જેને જન્મ-મરણ ન હોય, જેને નાત-જાત ન હોય, જે સ્ત્રી કે પુરુષ નથી એવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ બ્રહ્મ કહેવાય. આપણે આપણને પોતાને એવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપે માનવા તેને બ્રહ્મરૂપે રહ્યા કહેવાય.
અથવા જે સર્વત્ર એકરસ પરિપૂર્ણ વ્યાપક છે. જે સત્, ચિત્ અને આનંદરૂપ છે. જેની વિશાળતામાં અનંતકોટી બ્રહ્માંડો પણ અણુ જેવા ભાસે તેવા અક્ષરબ્રહ્મને-ચિદાકાશને બ્રહ્મ કહે છે.
આપણે પોતે પોતાને સામાન્ય જીવ રૂપે નહિ પણ તેટલા વિશાળ, વ્યાપક, નિરાકાર અક્ષરબ્રહ્મરૂપે માનીએ તો તેને બ્રહ્મરૂપે વર્ત્યા કહેવાઈએ. પછી એ બ્રહ્મભાવે રહી પરબ્રહ્મ શ્રીહરિની ભક્તિ-ભજન, ધ્યાન-સ્મરણ સદા કરવું.
એવી મહારાજની આજ્ઞા શિક્ષાપત્રીના ૧૧૬મા શ્લોકમાં છે.
निजात्मानं ब्रह्मरूपं देहत्रयविलक्षणम्।
विभाव्य तेन कर्तव्या भक्त्ति: कृष्णस्य सर्वदा।।
- शिक्षापत्री-११६